અડાજણ ખાતે રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના ૭૪૪ પૈકી ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ-જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકારનું ધ્યેય અગાઉ સુરતમાં ૨૮ ટકાથી વધુ સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હતો. જે ઘટીને હાલ માત્ર ૭.૫૦ ટકા થયો: આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે -: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
આગામી દિવસોમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને ‘પીએમ આવાસ યોજના’ થકી પાકું ઘર મળી રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સુરતના ૩૯૦ આવાસોના લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-૫૪ (સુમન આદર્શ) અને EWS-૫૧ (સુમન નુપુર)ના ૭૪૪ આવાસો પૈકી ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ-જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે. હાલ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માં જેમણે આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહિ રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહેશે એવો શ્રી પાટીલે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
એક સમયે સુરતમાં ૨૮ ટકાથી વધુ સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હતો, જે ઘટીને હાલ માત્ર ૭.૫૦ ટકા થયો છે, ત્યારે આપણા સૌના સહિયારા પ્રયાસોથી આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે. એમ જણાવતા મનપા દ્વારા ઝીરો સ્લમ તરફની આગેકૂચ કરવા સાથે ઝૂંપડપટ્ટીમુક્ત સુરતના નિર્માણનું આ મોડેલ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ નીવડશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીના દૂરંદેશીપૂર્ણ વિઝનથી રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે એમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોમાં સ્થાન મેળવતા સુરત શહેરમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પણ આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધા મળી રહે છે.
સુરત શહેર ભૂતકાળમાં અસ્વચ્છ શહેર હતું, પરંતુ આજે સુરત સ્વચ્છતાની મિસાલ કાયમ કરી રહ્યું છે અને સમગ્ર દેશમાં સ્વચ્છતા પ્રથમ ક્રમ સાથે અવ્વલ છે. સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોમાં જળસંચય, જળસંરક્ષણ સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ…’ અમલી છે, ત્યારે તાજેતરમાં પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા દક્ષિણ ગુજરાતમાં શરૂ કરેલ ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ યોજના દેશવાસીઓને જળસંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની નવી રાહ ચીંધશે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ સુરત વિકાસની તેજ ગતિ સાથે ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે, તેમ રાજય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ આવાસીય સુવિધાઓ, ઈન્ફાસ્ટ્રકચર સહિત જનસુખાકારીની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. પીએમ આવાસ યોજનાએ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે છે. વિશ્વ ફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલક્ષેત્રે જાણીતુ સુરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે, ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ ભાઈદાસ પાટીલ, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, શહેર પ્રદેશ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, વિવિધ સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. -00- પારદર્શી ડ્રો થકી ૩૯૦ આવાસોના લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં, ઈન્કમટેક્ષ-ઓફિસની પાછળ EWS-૫૪ સુમન આદર્શ ટી.પી.નં ૧૦ (અડાજણ), ફા.પ્લોટ નં. ૧૭ ખાતે રૂ. ૪૭.૫૬ કરોડાના ખર્ચે સાકારિત થયેલ કુલ ૪૦૮ આવાસો પૈકી ૩૨૭ આવાસોનું કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. જ્યારે રિજન્ટ પ્લાઝાની બાજુમાં ડીંડોલી ગામ રોડ, ડીંડોલી ખાતે EWS-૫૧ સુમન નુપુર ટી.પી.નં. ૬૨ (ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ), ફા.પ્લોટ નં. ૧૭૩ ખાતે રૂ. ૨૯.૫૨ કરોડના ખર્ચે સાકારિત થયેલ ૩૩૬ આવાસો પૈકી ૬૩ આવાસો મળીને કુલ ૭૭.૦૮ કરોડના ખર્ચે કુલ ૭૪૪ આવાસો પૈકી આજે ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, પારદર્શી ડ્રો થકી ૩૯૦ આવાસોના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે.
પીએમ આવાસોની વિશેષતાઓ
PMAY-AHP યોજના અંતર્ગત માત્ર ૮.૫૦ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે