૧૭૫ ખેડુતો દ્વારા ૩૫ પ્રકારની કેરીઓ પ્રદર્શિત કરવામાં આવી
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત-સંવર્ધિત સોનપરી કેરીની વિદેશમાં બોલબાલા
“Grow More Fruit Crop” અંતર્ગત વધારે માં વધારે ફાળઝાડો વાવવાનું આહવાન
સુરતની નાયબ બાગાયત નિયામકની કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના સંયુક્ત ઉપક્રમે પનાસ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃ.યુ.નિ.ના કુલપતિ ડો.ઝેડ.પી. પટેલના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન તરીકે સંયુકત બાગાયત નિયામકની ઉપસ્થિતિમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ૧૭૫ ખેડુતોએ કુલ ૩૫ જાતની કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, જમ્બોકેસર, કિંગકોન, કેન્ટ, પાલ્મેર, માયા, લીલી, કરંજીયો, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં એકથી ત્રણ ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને રોકડ ઈનામ આપી સન્માનિત કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે કુલપતિ ડો.ઝેડ.પી.પટેલે જણાવ્યું હતું કે, કેરીનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ ભારતમાં થાય છે. આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્ક રહીને યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ચોર્યાસી અને ઓલપાડ તાલુકા સંધના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું કે, ખેડુતોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવા જણાવ્યું હતું. આ અવસરે સંયુકત બાગાયત નિયામકશ્રી એચ.એમ.ચાવડાએ રાજય સરકારની બાગાયતની સહાયકારી યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કર્યા હતા.
આ અવસરે નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલીયાએ આંબા પાકમાં પ્રથમ કલમની પસંદગી યોગ્ય કરવી, માતૃછોડ જોયા બાદ કલમ ખરીદવા, સાડા ત્રણ ફુટથી વધુની કલમ ન વાવવા તેમજ નૂતન કલમોની પસંદગી કરવાનો અનુરોધ કર્યો હતો. આંબાના વૃક્ષને સુર્યપ્રકાશ અને હવાની અવરજવર થાય તે માટે વાવેતરથી યોગ્ય પ્રુનીંગ કરવાની સલાહ આપી હતી.
કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.એમ.ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવતા કહ્યું કે, જે વિસ્તારમાં જાતોની ડિમાન્ડ હોય તેનું વાવેતર કરવું. જો કેસરનું વાવેતર કરવામાં આવે તો ક્રોસ પોલીનેશન થાય તે માટે થોડા અંતરે સોનપરી, તોતાપુરી જેવી જાતોનું વાવેતર કરવું, સોનપરીની જાતમાં વાતાવરણની અસર ઓછી થતી હોવાથી ઉત્પાદન સારૂ મળે છે. જેની કલમ માટે નવસારી કૃષિ. ખાતે અગાઉથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાય છે. આંબાના થડથી પાંચ ફુટ બાદ ખાતર આપવા તેમજ અન્ય પાકમાં થતા રોગોની સામે રક્ષણ મેળવવા અંગેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જે.એચ.રાઠોડ,આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતીષ ગામીત, ન.કૃ.યુનિ.નાશ્રી આર.કે.પટેલ તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.